
સંતો અને શાસ્ત્રોએ ષડ રીપુઓના પ્રભાવનું વર્ણન કરેલું છે. એ રિપુઓ માણસને કેવા પરેશાન કરી શકે છે એ વિશે અનેક પ્રસંગો વાંચવા સાંભળવા મળે છે. એ રિપુઓની કેટલી શક્તિ અને તાકાત છે એ પણ વાંચનથી અને એ શત્રુઓને લડતા જોઇને સમજી શકાય છે.
તે દોષો કે શત્રુઓ આપણને પોતાના ગુલામ બનાવે છે. પોતાની ઈચ્છા મુજબ માણસને વર્તાવી માણસને નપુંસક કરી દે છે. ષડ શત્રુથી નમાલો બનેલો માણસ જીવનમાં કાંઈ કરવા સમર્થ થઇ શકતો નથી.
આપણને આ છ શત્રુઓ કેવા પરેશાન કરી શકે છે એ જો સમજાય તો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો ચાલો ચાલ સત્સંગમાં આવે, સત્સંગનો પૂર્ણ લાભ લે નહીં, કથા વાર્તામાં બેસે નહીં અને આત્મચિંતનમાં સમય વ્યતીત કરે નહીં તો છ રિપુઓ દરેકને કેવા હેરાન કરે છે એ સમજાતું નથી અને એના વિષેની વાર્તાઓ પણ ગળે ઊતરતી નથી.
કોઈ એક દોષની વાત કરીએ તો જગતમાં કોઈ વ્યક્તિ ન હોય કે જેમાં દોષ ન હોય. મનુષ્ય માત્રમાં દોષો છે. આપણે એ તો કબુલ કરીએ છીએ, પણ એનું અર્થઘટન એવું કરીએ છીએ કે મારા સિવાય બાકીના મનુષ્યમાત્રમાં એ દોષો છે. આવા, ભૂલ ભરેલો અર્થ સમજીએ એથી નુકસાન કોને થાય છે એ કોઈક જ સમજવા પ્રયત્ન કરે છે.
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે વિકારોને લીધે આપણે જેટલું દુખ સહેવું પડે છે, જેટલું નુકશાન વેઠવું પડે છે અને જેટલી બરબાદી વહોરવી પડે છે એટલી બરબાદી, નુકસાન અને દુઃખ કોઈ નીચ અને ત્રાસવાદી, લાલચુ અને લંપટ અને સ્વાર્થી અને પાખંડી સમ્રાટથી પણ વહોરવી નથી પડતી.
અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ દોષોથી જે કાંઈ વેઠવું પડે છે એમની કોઈ સીમા નથી. અરે!આટલું દુઃખ કોઈ માનવ સમાજ સાથે મળીને આપણને દુઃખી કરી શકે નહીં.
મારે એ વાતનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે જો દોષોને સમજતાં આવડે તો આ દોષો આપણો ભવ સુધારી દે. આપણો વંશ સુધારી દે. આપણી જિંદગી શાશ્વત કરી દે.
હવે આપણે એ જોઈએ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરના ગુલામ બનવાથી કે તેને આધીન થવાથી સૃષ્ટિના કાયદાઓ, મનના માનેલા ધર્મો બદલાતા નથી પરંતુ જે લાભ મળવો જોઈએ તે ખોવાઈ જાય છે. જેમ બેદરકાર રહેવાથી લખપતિ શેઠ ભીખ માગતો થઈ જાય એમ દોષોના ગુલામ થવાથી લાભ ગુમાવીને ગેરલાભ ઉઠાવીએ છીએ.
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર કોને કેવી રીતે ફસાવે છે એ જોવા કરતાં જો આપણે એ જોવા પ્રયત્ન કરીએ કે એ બધા મને કેમ અને ક્યાં ફસાવે છે તો ખરેખર કેવળ મને નહીં પણ બધાને બહુ લાભ થાય છે. વ્યક્તિ જો પોતાના વિકારોને તાબામાં લેવાનો કે તેને સમજવાનો પ્રયત્ન કરે તો સહેજે સહેજે આવનારાં અનેક દુઃખો સહેજે સહેજે નાશ થઇ જાય છે.
નિયમિત જેમ કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કરાતાં નાનામોટા કૃત્યોનું અને બનાવોનું અવલોકન કરે તો સાચો અને ભ્રષ્ટ માગ તેને સ્પષ્ટ દેખાઈ આવે છે. આવનારાં દુઃખો કે સુખો પહેલેથી કાંઇક અંશે સમજી શકાય છે.
આપણે સારા સારા ગ્રંથો વાંચીએ, મોટા મોટા પુરુષોના ચરિત્રગ્રંથો વાંચીએ, પણ તે બધાનો ઉપયોગ આપણા જીવનમાં ન કરી શકીએ તો તે વાંચનથી શો લાભ થશે? કશો લાભ થશે નહીં. આપણે વાચન કરીએ પણ સુક્ષ્મદ્રષ્ટિથી વિચાર ન કરીએ અને શ્રવણ કરીએ પણ વિવેક ન રાખીએ તો અણમોલ લાભ લઇ શકીએ નહીં.
આપણો પ્રયત્ન અને પરિશ્રમ ભારરૂપ થયો કહેવાય જો પરિશ્રમ પછી કોઈ લાભ ન હોય. વૈદકિય ગ્રંથો ભણીને કે વાંચીને કોઈ પોતાના રોગનું નિદાન ન કરી શકે કે રોગ દુર ન કરી શકે કે પોતાના રોગને સમજી ન શકે તો એ પુસ્તકીય જ્ઞાનથી શું અર્થ સરશે? જે કાંઈ જાણીએ કે શ્રવણ કરીએ તેને સમજી પોતાનો પથ નિર્માણ કરીએ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરને સમજી તેને સહકારે પોતાનો માર્ગ નિર્માણ કરી શકીએ તો એ આપણું જીવન સાર્થક કહેવાશે.
ઈતિહાસ અને તત્વજ્ઞાનનાં વાંચનથી આપણે પોતાના જીવનને ઉન્નત કરી શકીએ કે જીવન જીવવાની કેડી નિર્માણ કરી શકીએ તો સંસારિક જીવનમાં અનોખી પુષ્પની સુવાસ લઇ શકીએ. દોષોના ગુલામ થવાથી જેને પાયમાલી વેઠી છે અને દોષોનો સદુપયોગ કરવાથી સિધ્ધિ મેળવી છે એ જાણીએ તો દોષોના ત્રાસથી પણ જીવનમાં પથનિર્માણ કરી શકીએ.
જેમ વાંચન કે શ્રવણ ભલે મનોરંજન કરનારું હોય પણ જીવનને ઘડનારું હોય તો વધારે યોગ્ય કહેવાશે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ ભલે દોષો કહેવાતા હોય પણ જો તેને સમજાવી જીવન ઘડતરમાં ઉપયોગ કરીએ તો દરેક જાતની પ્રવૃત્તિ સિધ્ધી કહેવાશે.
સિધ્ધ સાધકના સહારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ દોષોને પણ જીવન ધન્ય બનાવી શકાય છે. જો કોઈ સાધકના માર્ગદશન હેઠળ પોતાનો જીવન પ્રવાહ હોય તો એ દોષોથી મહાફળ સાંપડે છે.
જેમ સંત અને સાધકના રક્ષણમાં કરેલો ક્રોધ પંચમહાપાપથી મુક્તિ અપાવે છે અને જેમ કોઈ રાજા પોતાના રાષ્ટ્રના વિકાસમાં પોટે લોભથી જીવન જીવે અને રાષ્ટ્રોનો વિકાસ કરે તો તે લોભ મહાયશ અપાવે છે તેમ આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર પથદર્શક પ્રમાણે ખેડવામાં આવે તો અનંત ફળ અપાવે છે.
દોષોનો તિરસ્કાર કરવો એ કરતાં દોષોને સમજી તેને સદગમનમાં પ્રવર્તાવવા એ એવું કામ થશે કે જેની પ્રસંશા જગ સદા કરતું રહેશે, જેમ કોઈ વિદ્યાથી અભિમાની અને અહંકારી ખૈયાખત્રી જેવો દુર્જન માણસ હોય અને તેને બ્રહ્માનંદ સ્વામી જેવાં સંત મળે કે સાક્ષાત્ ભગવાન સ્વામિનારાયણ મળે તો કેવલ ખૈયાખત્રી સુધરી જાય એટલું નહીં પણ માંડવી જેવું કોઈ ગામ સુધરી જાય અને તેનો વિકાસ થઇ જાય.