જેવા ગુરુમાં હોય તેવા શિષ્યોમાં સંસ્કાર ઉતરે છે. સ્વયં ગુરુ જો સદાચારનું પાલન ન કરે તો શિષ્ય પણ કરે નહી. શાળામાં વિદ્યાર્થીને ભણાવતા શિક્ષકો જો નિયમિત ન હોય અને તમાકુ કે સ્મોકિંગ જેવા વ્યસનમાં લપટાયેલા હોય તો એ વિદ્યાર્થીને કદી સંસ્કારી બનાવી શકે નહી.

પરિવાર દર્શન

ગુરુ તેવા શિષ્યો

By Shastri Surya Prakash Dashji

April 12, 2017

જેવા ગુરુમાં હોય તેવા શિષ્યોમાં સંસ્કાર ઉતરે છે . સ્વયં ગુરુ જો સદાચારનું પાલન ન કરે તો શિષ્ય પણ કરે નહી . શાળામાં વિદ્યાર્થીને ભણાવતા શિક્ષકો જો નિયમિત ન હોય અને તમાકુ કે સ્મોકિંગ જેવા વ્યસનમાં લપટાયેલા હોય તો એ વિદ્યાર્થીને કદી સંસ્કારી બનાવી શકે નહી .

એક દિવસ પિતાએ પોતાના પુત્રને કહ્યું કે રમેશ ! મારે પોસ્ટકાર્ડ લખવો છે . તો તું બજારમાં જ , અને તે લઈ આવ .’ રમેશ બજારમાં ગયો . તપાસ કરી તો કયાંયથી પોસ્ટકાર્ડ મળ્યો નહી . ખાલી હાથે ઘરે આવેલા રમેશે પિતાને કહ્યું કે પિતાજી ! કોઈ પોસ્ટકાર્ડ આપવા તૈયાર નથી . બધા લોકો પૈસા માગે છે . બજારમાંથી મફતમાં કાંઈ પણ મળતું નથી .’

પિતાજીએ કહ્યું કે તું તો બહુ ચતુર અને તેજસ્વી છો . તું ધારે તો કોઈ પણ જગ્યાએથી પોસ્ટકાર્ડ લઈ આવી શકે છે . આજે તું મારે માટે ગમે તેમ કરી પોસ્ટકાર્ડ લઈ આવ તો તું મારો ડાહ્યો દિકરો કહેવાય .’

કુમળી શાખાને જેમ વાળો તેમ વળી જાય . જો તેને સીધી રાખવામાં આવે તો તે સીધી જાય અને જેમ તેમ વાળવામાં આવે તો તે તેમ જાય . ચોખ્ખા નિર્મળ જળમાં જેવો રંગ નાખવામાં આવે છે , તેવા રંગનું તે જલ થઈ જવાનું છે . કપાસને જેવા રંગમાં બોળવામાં આવશે તેવા રંગનું તે થઈ જવાનું છે .

બાળક કે શિષ્ય એ નિર્મળ જળ જેવા શુદ્ધ છે અને જેવું કપાસ દાગ વિનાનું છે , એવા એ છે . કોમળ છોડવાની શાખા જેવા એ છે . તેને જેવું તમે શિક્ષણ આપશો તેવા તે થશે .

રમેશે વિચાર કર્યો કે બજારમાં મફતમાં કાંઈ પણ મળવાનું નથી . એક સામાન્ય વસ્તુ માટે બાપુજીને પૈસા ખર્ચવા નથી . બાપુજીને મફતમાં પોસ્ટકાર્ડ જોઈએ છે . શું કોઈ જગ્યાએ ચોરી કરી ને પોસ્ટકાર્ડ ખરીદું ? કોઈ ગરીબને ડરાવી ધમકાવી તેની પાસેથી પૈસા પડાવી પોસ્ટકાર્ડ ખરીદું ? શું બાપુજીના ગજવામાંથી પૈસા ચોરી પોસ્ટકાર્ડ ખરીદું ? કે પછી બાપુજીને ધરાર ના પડી દઉં ? વિચારોના વમળમાં અટવાયેલા રમેશે બજારમાંથી એક લખાયેલું પોસ્ટકાર્ડ ઉપાડ્યું . તે ઘેર પહોચ્યો . પિતાજીને તે પોસ્ટકાર્ડ આપ્યો .

રમેશ ! લખાયેલ પોસ્ટકાર્ડમાં કેમ લખાય ? તને એટલી ખબર ન રહી ? રમેશે કહ્યું પિતાજી ! મને એ તો ખબર હતી કે લખાયેલામાં કોઈ લખી શકે નહી , પણ મને એમ કે તમે હોશિયાર છો તો જરૂર લખાયેલા પોસ્ટકાર્ડમાં લખી શકશો . મેં મારા મનમાં એમ માન્યું કે તમે મારા ખરે ખરા બાપુજી હો તો લખાયેલા પોસ્ટકાર્ડમાં જરૂર લખી શકશો . વળી પિતાજી તમારી વિશેષતા પણ ત્યારે જ કહેવાય કે જયારે લખાયેલા પોસ્ટકાર્ડમાં લખી શકો , કારણ કે કોરા પોસ્ટકાર્ડમાં તો સૌ કોઈ લખી શકતા હોય છે .

પિતાજીની આંખ ઉઘડી ગઈ . તેણે વિચાર કર્યો કે મારા દીકરાને કોઈ ભટકાઈ ગયો છે . નહી તો આવી સામાન્ય વાતમાં મને સ્પષ્ટ પ્રત્યુત્તર આપે નહી .

મિત્રો ! આવા ગુરુ કે આચાર્ય આપણને ભટકાઈ જાય તો જીવનમાં એમની પાસેથી આપણે શું આશા રાખી શકીએ ? આવા પિતાજી કે માતાજી ભટકાઈ જાય તો જીવનમાં શું માણી શકવાના ? ખોટી કોડી જેટલું પણ આપણને એવી વ્યક્તિઓ પાસેથી મળવાનું નથી .

તો સજ્જનો જેમ ન્યાસ વિંશતિમાં કહેવાયું છે કે સ્થિરધીયમનધં શ્રોત્રીયં બ્રહ્મનિષ્ઠ,સત્વસ્થં સત્યવાચં એવા સદ્દગુરુનું શરણું ગ્રહણ કરી અને તેમનું અનુશરણ કરીએ અને આ લોકનું અને પરલોકનું શ્રેય કરીએ.