તુલસીનું મહત્વ

0
755
Tulsi
Tulsi

         તુલસીનું મહત્વ કેવળ રોગ નિવારણમાં નથી. તુલસીનું મહત્વ કેવળ હિન્દુત્વના રક્ષણ કરવા માટે નથી. ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું મહત્વ વ્યવસ્થિત રીતે નિરૂપાયેલું છે. માટે તે સ્વીકારવું જોઈએ એ વાત વ્યાજબી ગણવી યોગ્ય નથી. હા, તુલસીનું મહત્વ આપણા ધર્મશાસ્ત્રોમાં ખુબ બતાવવામાં આવ્યું છે, પરંતુ એ કાંઈ લોકોને બહેકાવા માટે કે લોકોને અંધ વિશ્વાસમાં નાખવા માટે જરા પણ નહીં.

          પોતાની વ્યક્તિગત દ્રષ્ટિબિંદુથી જો તુલસીનું મહત્વ અને તેનો ઉપયોગ સમજવામાં આવશે તો જે કોઈ જગ્યાએ અને જે કોઈ ધર્મમર્યાદામાં તેને વિષે કહેવામાં આવ્યું છે એ સંપુર્ણ સત્ય દેખાશે.

         વિશ્વના પ્રબુદ્ધ વૈજ્ઞાનિકોએ તુલસીના મહત્વને વધારે સ્થાન આપ્યું. એમણે તુલસીના ઉપયોગ પાછળ ખૂબ પ્રયાસ આદરી દીધો છે. આપણા સિદ્ધ ઋષિમુનિઓની જે પ્રણાલિકા અને તુલસીના મહત્વ બતાવવાની રીત તેના કરતાં આજે વિજ્ઞાન લોકોને તુલસીના ઉપયોગ બતાવવામાં કાંઈ મણા ન રાખી. એ વિજ્ઞાન હજુ સંશોધન કરતું રહ્યું છે.

          કેટલાક શારીરિક વૈજ્ઞાનિકો અને ડૉકટરો, કેટલાક માનસશાસ્ત્રીઓ અને માનસચિકિત્સકોએ તો તુલસીને સર્વાર્થ આપનારું એક અનોખું અમૃત કહ્યું છે. તુલસીનું પાંદડું હોય કે તેનું કાચું બીજ, તેની શાખા હોય કે તેનાં મૂળ અને તે સૂકાયેલું હોય કે લીલું અનેક રીતે તે અતિ ઉપયોગી છે. તુલસીનું બધું જ ઉપયોગી છે એમ આજે પુરવાર થયું.
         

         આર્ષમેધાવીઓ તો એમ કહે છે કે તુલસી ‘ચતુર્વર્ગ પ્રદાયિકા – ચારે પ્રકારના પુરુષાર્થને આપનારી છે. કર્તવ્ય પાલનમાં મનની દૃઢતા તુલસી આપે છે. મનોવાંછિત અર્થ તુલસી સિદ્ધ કરે છે. સામાન્ય ઈરછાઓ અને સર્વવિધ કામનાઓ માતા તુલસી સિદ્ધ કરી આપે છે. આપણા પુરુષાર્થમાં તુલસી અનોખી ચેતના પૂરે છે. તુલસી તો ચરમ પુરુષાર્થ મુક્તિ પર્યતના સર્વે અર્થો સહજે આપે છે.

           ભગવાનના આરાધકો જેમ પોતાના પરમદેવને ભાવથી આરાધે છે તેમ સાચા અને પ્રબુદ્ધ જ્ઞાનીઓ, માતાઓ અને વડીલો, બહેનો અને યુવાનો શ્રીતુલસીની પૂજામાં પોતાના પરમદેવ અને પોતાના ગુરુને જુએ છે. તુલસીની પૂજા કરવામાં સાધકોને અંતરમાં બ્રહ્માનંદનો લહાવો મળે છે. જેમ પરવરદિગાર બંદગી કરનારની કામનાઓ પૂર્ણ કરે છે તેમ તુલસીની પૂજા કરનારા પોતાની અનેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે.

           સાચા સાધકો તો ભગવાનને નૈવેદ્ય અર્પણ કરે ત્યારે પણ તુલસી વિના તો ક્યારેય કરે જ નહીં! સિદ્ધ સાધકોએ અનુભવ્યું છે અને જોયું છે કે વિશ્વ વ્યાપક સર્વેશ્વર તુલસી વિના નૈવેદ્ય ગ્રહણ કરતો નથી.
ઔષધમાં કે રોગનિવારણમાં તુલસીનું કેટલું મહત્વ છે એ અત્યારે આપણો વિષય નથી. એમના વિષે તો આજનું આધુનિક વિજ્ઞાન બહુ કહી ચૂક્યું છે અને હજુ પણ કહેશે. આપણા સિદ્ધ આયુર્વેદના ગ્રંથોએ તુલસીના સબંધમાં ઘણું કહ્યું છે.
વિશ્વની એવી કોઈ ભાષા કે અતિપ્રાચીન સંસ્કૃતિ નથી જ, કે જેમાં તુલસીનું ગૌરવ બતાવવામાં ણ આવ્યું હોય! ફારસીમાં તુલસીને રેહાન કહેવામાં આવે છે અને અરબીમાં ઉલ્સી વાદૃત કહે છે. લેટિનમાં ઓસીમમ કે અલ્વમ કહે છે અને અગ્રેજીમાં બેસિલ કહે છે.

     પરંપરાથી સંસ્કારી પરિવારે, એ અનુભવ્યું છે અને જોયું છે કે તુલસી વિનાનું ઘર એ કેવલ ભૂત અને પ્રેત, શેતાન અને રાક્ષસ અને દુરાચારી અને જાલીમો માટેનો અડ્ડો છે.

            જેના ઘરમાં તુલસી નથી. જેના ઘરમાં તુલસીની પૂજા થતી નથી ત્યાં સંસ્કારી અને સિદ્ધ આત્મા પણ અવતાર ધારણ કરતી નથી. વિશ્વને રાહ બતાવનાર સિદ્ધ આત્માઓ તુલસીના પૂજનથી અને તુલસીની આરાધનાથી જ મહા પદવી પામ્યા છે. જેના ઘરમાં તુલસી હોય તેના ઘરમાં જાત જાતના રોગ પણ પોતાનો અડ્ડો નાખતા ખચકાય છે.

            હવે જ્યાં તુલસી ન હોય પછી ત્યાં કોણ આવીને પોતાનો અડ્ડો જમાવે? અનાચાર, અત્યાચાર, દુરાચાર, અને ધુર્તાચાર જેવા ત્યાં પ્રેરણાના શ્રોત બની, ઘરને શ્મશાન જેવું બનાવે! જ્યાં કોઈને ઘરમાં શાંતિ ન હોય, કોઈને કોઈ ઘરમાં બીમાર પડ્યું જ રહે, એક સ્વસ્થ થાય તો બીજું કોઈ ગમે તેમ કરી ગબડે અને વ્યવહારમાં ખેંચા તાણ તો હટતી દેખાય જ નહીં.

          તુલસી તો ઘરનું મોટું આભૂષણ છે. ઘરમાં કોઈ સંતાન ન હોય તો ઘર કેવું સૂનું લાગે? ઘરમાં સ્વચ્છતા ન હોય, ઘરમાં જેમ તેમ સમાન વિખેરાયેલો પડ્યો હોય તો ઘર કેવું લાગે? ઘરમાં જ્યાં ત્યાંથી ગંદકીની દુર્ગંધ આવતી હોય તો તે ઘર કોને સારું લાગે?

          જેમ ઘરમાં મોજ શોકની કોઈ સાધન સામગ્રી ન હોય કે હાર ઉપહાર કે અલંકારો ન હોય તો ઘર એ ઘર લાગતું નથી. તેમ તુલસી અને ઘરમાં દેવનું સિહાસન એ ન હોય તો ઘર કેવું લાગે? જાણો છો એ ઘર કેવું ફળ આપે?
પવનપુત્ર હનુમાન જયારે પ્રભુરામની આજ્ઞાથી સીતાની શોધમાં લંકામાં ગયા છે ત્યારે તેણે વિભીષણનું ઘર જોયું તો, ઘરના આંગણામાં તુલસીનો મોટો બગીચો જોયો! વૃંદાનું વન જોયું!

        રાસાયણિક દ્રવ્યોથી જે શરીરના હાનિકારક બેકટેરીયા કે સુક્ષ્માતિ સુક્ષ્મ જંતુઓ નાશ થતાં નથી એ તુલસીનાં મોગરા સહિતના પાન લેવાથી થાય છે. શરીરનું ઓજસ પણ તુલસીના સેવનથી વધે છે.

          જે કુમારિકાઓ પોતાના કંઠમાં નિત્ય તુલસીના કષ્ટમાંથી બનાવેલા પારાઓ કે તુલસીની શુદ્ધ બેવડી માળા પવિત્ર સાધક કે સાધ્વી થકી ધારણ કરી, કોઈ પણ શુદ્ધ સંકલ્પ કરે છે તો તે સંકલ્પ તુલસીના પૂજનથી અવશ્ય સિદ્ધ થાય છે. જો તુલસીનું ધુપ, દીપ અને જળથી પૂજન કરાય છે તો પુજાયેલા તુલસી સર્વ કાર્ય કરવાની શક્તિ આપે છે. સંતો કહે છે કે સારા કર્યો પરિપૂર્ણ કરવા માટે, પવિત્ર વંશની વૃદ્ધિ માટે, પોતાના સૌભાગ્ય માટે અને મૃત્યુ પછી સનાતન શાંતિ માટે તુલસીનું પૂજન અને કંઠમાં ધારણ કરવું ઘણું મહત્વ ધરાવે છે.

          જે સાધકો વિધિથી તુલસીને પોતાના કંઠમાં ધારણ કરે છે અને ભગવાનના શરણાગત બનીને તેમની પૂજા આરાધના કરે છે તેમની અનેકવિધ શારીરિક વ્યાધિઓ અને માનસિક ઉપાધિઓ દુર કરવાની યુક્તિઓ આપોઆપ હાથ આવે છે અને સહેજે સહેજે બહુ વિધ સુખ સાંપડે છે.

            શ્રી કૃષ્ણ ભગવાને તો સદા વૃંદાવનમાં રહેવું પસંદ કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન કંઠમાં તુલસી ધારણ કરી સર્વે સંત હરિભક્તને ધારણ કરાવી છે. સ્વામિનારાયણ ભગવાન સદા તુલસીની માળાથી જાપ કરવાના આગ્રહી રહ્યા છે. તુલસી માળાના જાપથી સિદ્ધિ પણ અનોખી હોય છે.

સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં એમ આદેશ આપ્યો કે સંસ્કારી ભક્તજનોને તો કંઠમાં તુલસીની માળા અવશ્ય ધારણ કરવી. જો તે સુલભ ન હોય તો ચંદનના કાષ્ટમાંથી બનાવેલ ધારણ કરવી.

            આ વચનોમાં કાંઈક રહસ્ય છે પરંતુ એતો ભગવાન સ્વયં કૃપા કરે કે ગુરુદેવ કૃપા કરે અને જણાય એવું આપણે ભગવાન પાસે માંગીએ.