શ્રી સ્વામિનારાયણ મંદિર અમદાવાદ

1
811
Ahamedabad Mandir
Ahamedabad Mandir

અમદાવાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર હતું અને આજે પાટનગર ગાંધીનગર છે પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આ અમદાવાદ પ્રથમ પાટનગર સદાય રહેશે કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ નગરમાં કાલુપુર વિસ્તારમાં પ્રથમ ભવ્ય સ્વામિનારાયણ મંદિર નિર્માણ કરાવ્યું છે.

મંદિરોના નિર્માણમાં સુજ્ઞ અને શાસ્ત્રના રહસ્યને યથાર્થ જાણતા સદ્‌ગુરુ આનંદાનંદ સ્વામી પાસે સ્વામિનારાયણ ભગવાને પથ્થરનું મજબૂત વિશાળ મંદિર અહીં અમદાવાદમાં બનાવળાવી અને સ્વામિનારાયણ ભગવાને પોતાના કરકમળો દ્વારા ભગવાન શ્રી નરનારાયણ દેવ, ભગવાન શ્રી રાધાકૃષ્ણદેવ અને પોતાના સ્વરૂપ સાથે ધર્મભક્તિની વૈદિક મંત્રોથી પ્રાણપ્રતિષ્ઠા કરાવીને મોટો ધામધુમથી ઉત્સવ કર્યો હતો.

એમ કહેવાય છે કે સદ્‌ગુરુ આનંદાનંદ સ્વામીએ, આ મંદિર, એ સમયે, ઓછા સાધન અને ઓછી સામગ્રી હોવા છતાં હજારો ભક્તોના હાથકામેથી કેવળ ત્રણ વર્ષમાં પૂર્ણ કરાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયનું બેનમુન આ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનું પ્રથમ મંદિર છે અને સ્વામિનારાયણ ભગવાને ગાદીના બે વિભાગ કર્યા એમાં પણ આ અમદાવાદ દેશ વિભાગ મોટા ભાઈ રામપ્રતાપભાઈના વિભાગમાં આવ્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ ગાદી વિભાગના આચાર્ય હાલ પ.પૂ.આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ છે કે જે અમદવાદ દેશ વિભાગના દરેક મંદિરોના આચાર્ય છે. આ કાલુપુર વિસ્તારમાં આવેલ પ્રસાદીભુત મંદિરમાં સમયે સમયે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે અને આજે અમદાવાદમાં પ્રથમ કોટીમાં આ સ્વામિનારાયણ મંદિર સ્થાન ધરાવે છે. અહીં બિરાજમાન શ્રી નરનારાયણ દેવનાં દર્શને આવનાર હજારો અને લાખો ભક્તોને નવી ચેતના સ્વયં ભગવાન આપે છે. સૌ દર્શનાર્થીઓ જીવનના પંથમાં આગળ વધે અને પોતાનું પરમ ધ્યેય સિદ્ધ કરે, એવું બળ અહીં સૌને મળતું રહ્યું છે.

સ્વામિનારાયણ ભગવાને અહીં સંવત ૧૮૭૮ના ફાગણસુદ ૩ના પોતાના કરકમળો દ્વારા શ્રીનરનારાયણદેવની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને ત્યારે ઉજવાયેલ ઉત્સવમાં આશરે પ૦,૦૦૦ થી વધારે દેશ દેશાંતરોથી સંતો, ભક્તો, બાઈઓ અને ભાઈઓ અને અનેક સંપ્રદાયના આચાર્યો સહિત અહીં પધાર્યા હતા.

અહીં મંદિર બનાવા માટે સ્વામિનારાયણ ભગવાનને સર ડન્લોપે પાસેથી આશરે પાંચ હજાર એકર જમીન દાનમાં મળી હતી અને મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૦૧ તોપની અંગ્રેજ સરકારે સલામી આપી હતી. આજે જ્યાં કાલુપુર રેલ્વે સ્સ્ટેશન છે, એ જમીન ફરી મંદિરે જ સરકારને આપેલી છે અને એના બદલામાં નારાયણપુરામાં એક હજાર એકર જમીન મંદિરને આપેલી હતી.

મિત્રો! આવા અનેરા ઈતિહાસથી આપણે કલ્પના કરી શકીએ કે સ્વામિનારાયણ ભગવાનથી, એ વખતે સરકાર અને સમગ્ર ગુજરાત કેટલું પ્રભાવિત હશે અને ભગવાને કેવું સુખ એ સમગ્ર ગુજરાતની પ્રજાને પોતાની માનીને આપ્યું હશે. સ્વામિનારાયણ સંપ્રદાય, આજે પણ એજ રીતે ભવ્ય મંદિરોના માધ્યમથી સંપ્રદાયના આચાર્યો સહિત, સંતો, ભક્તો સૌ પોતાનું કર્તવ્ય સમજીને સમગ્ર માનવ જાતને સ્વામિનારાયણ ભગવાનનો દિવ્ય સંદેશ આપીને સાચા સુખ તરફ લઈ જવા પ્રયત્નશીલ છે.

આવા પ્રથમ કોટીના તીર્થધામ સમા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી નરનારાયણદેવના દર્શન કરીને જીવનમાં નવી ચેતના અને નવું બળ સંપાદન કરીએ.

।। અસ્તુ ।।

Save

1 COMMENT

  1. જય સ્વામિનારાયણ સ્વામી ટુક માં કાલુપુર મંદિર નો ઈતિહાસ બહુ સરસ રીતે સમજાવ્યો છે . તમાર નાના નાના લેખો જીવન માં નવી ચેતના અને મહારાજ નું બળ સંતો નું બળ આપે છે . સાથે મૂળ સંપ્રદાય ની પાયા ની સમજણ આપે છે .

Comments are closed.