અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ

0
4639
Ashadhi bij
Ashadhi bij

હિંદુ ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે અને આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, તે જ રીતે અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે, જયારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. ચાતુર્માસનો આરંભ પણ આ મહિનામાં જ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે. ભારતના કચ્છ જીલ્લાના કચ્છી લોકોના નુતન વર્ષનો આરંભ અષાઢી બીજથી થાય છે. ખેંગારજી પહેલાએ ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ-૫ના કરી હતી. લાખો ફૂલાણી જે વિચારવંત રાજવી હતો..અસંખ્ય નવાનવા  વિચારો તેના મનમાં જાગતા હતા. જ્યાં સુધી મનને શાંતિ ન થાય ત્યાં સુધી વિચારો કર્યા કરતા એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં આવ્યો અને પૃથ્વીના છેડા માટે પોતાના જાત પ્રયત્નો થવા જોઈએ એવું વિચારી  થોડાક સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ તે આ શોધમાં નીકળ્યા હતા લાખાજીના આ પ્રયાસને લોકો ‘સૂરજન’ ના નામથી ઓળખે છે. અંતે તેને વિજય પ્રાપ્ત ન થયો અને પાછા ફર્યા તે સમયે અષાઢ માસ શરૂ થયેલો અને ધોધમાર વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઊઠેલી પરિણામે તેનો આત્મા બહુ પ્રસન્ન થયો અને કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરુ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું. આથી છેલ્લા આઠસો વર્ષથી અષાઢી બીજ ધામધૂમથી કચ્છમાં ઉજવાય છે.

ભારતમાં અષાઢી બીજના મહાપર્વે દર વર્ષે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને તે દિવસે જગન્નાથપુરીમાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થાય છે જેમાં લાખો લોકો જોડાય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણ રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. જેની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે. પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે. તેમજ અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ જગન્નાથપુરીનીં રથયાત્રા પરથી આવ્યો છે. અષાઢી બીજ એવો તહેવાર છે જે હિંદુ અને મુસ્લિમ ધર્મનો સાથે ઉજવાતો તહેવાર છે. રથયાત્રાને દિવસે નાત જાતના ભેદ ભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.વર્ષારાણીના આગમનનો મહિનો ગણવામાં આવે છે.

Save