jivan ne jer thi bachavvu

પરિવાર દર્શન

જીવનને ઝેરથી બચાવવું

By Shastri Surya Prakash Dashji

October 25, 2016

           (જીવનને ઝેરથી બચાવ) હે સંતો! સર્વોપરી અને અવતારીના નામે આ સત્સંગમાં ઘણાય અસુરો ઝેરના બી વાવશે. નહીં પોતે સુખેથી ભગવાનની સેવા કરે અને નહીં બીજા કોઈ દૈવી આત્માને કરવા દે. જેને પોતાના દેહમાં રહેલાં છ આજ્ઞાદિ ચક્રોની ખબર નહીં હોય અને હશે તો કેવળ નામ ગોખેલ હશે એવા દોઢડાયા કોઈ થાશે. કોઈ કોઈ મોટા અસુરના મોવડી ભગવાનનાં ધામ ક્યાં,કેવાં અને કેટલાં? એમાં કાંઈ જાણતા નહીં હોય તો પણ ડહાપણ કરી, ઊંડા ઉતરવા પોતાનું ગાંડપણ છતું કરતા ફરશે. એ બધા અસુરો જેને તેને જેમ તેમ ઊધું અવળું ભરમાવશે અને ભગવાનના દ્રોહી બનશે, બનાવશે.

         હે સંતો! એવા નીચ અને મૂઢથી સદા સાવધ રહેજો, નહીં તો, તમને પાસલામાં પાડવા એ અસુરો જરા પણ પાછા પડશે. નહીં. એ નીચ અને અવતારદ્રોહી ભગવાનના રૂપોને અને સ્વરૂપોને નહીં જાણી ભોળા ભક્તોને ઠામોઠામથી ઠાઉકાં ઓડાં નંખાવી અણસમજણની ઊંડી ખાઈમાં નાખશે. કોઈ તો સારા સાધુનો વેશ રાખી તમારે ઘેર આવી તમને અસુર કરવામાં એક રતિ ભારની મણા નહીં રાખે.

       શ્રીકૃષ્ણ ભગવાન અને શ્રીકૃષ્ણના અવતારોનું યુક્તિ પૂર્વક ખંડન કરતા ભટકતા ભારાડીથી સાવધાન રહેજો. એ દુર્જન અને ઢોંગી અસુરો ભગવાનની નહીં પણ પોતાની પૂજા કરાવશે.

       અરે! એ મહારાજના રૂપોનું ખંડન કરી અને દ્રોહ કરે એવાં પુસ્તકો લખી લખાવી અનેકને વાંચવા વંચાવવાનાં નિયમો આપશે. મહારાજ કહે ‘હે સંતો! અમે તો એવા દુર્જનનાં સહવાસમાં આવતા બહુ ડરીએ છીએ. રખે ને ભગવાનને વિશે અને સાચા સંતને વિષે જે દાસભાવ રાખ્યો છે એ ટળી જાય.

       ગાયનું દૂધ અમૃત કહેવાય પણ એમાં જો થોડુક પણ ઝેર પડે તો? અવતારની નિંદા અને એ  ભગવાનના  અવતારને સામાન્ય જીવ જેવા ગણવા, એ રૂપ જે ઝેર, પિવાશે તો મરણ થશે. એ ઝેર જો ભગવાન અને સંતને વિષે દાસભાવ રૂપ જે દૂધ એમાં પડે તો?કરેલું ધૂળમાં ભળશે.જે કાંઈ કર્યું હશે એ સર્વે ધૂળ ધાણી અને વા પાણી થઈ જશે.

      આ સત્સંગમાં કાળનેમી અને રાહુ જેવાં અસુરો પડ્યા છે તેની જાળમાં આવશો નહીં, અને એટલું કરશો તો અમે તમારો મોટો પાડ માનશું અને તમારા દોષ નહીં જોઈ તમને અંતકાળે અમારા સર્વોપરી અક્ષરધામમાં લઇ જશું કે જેને શાસ્ત્રમાં વૈકુંઠ અને પરમધામ કહે છે.