કથાશ્રવણનું રહસ્ય

0
367
કથાશ્રવણનું રહસ્ય

ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે કે જે ભગવાનના અસ્તિત્વમાં નાકારો ભણતી હશે. સમયે સમયે વ્યક્તિ કોઈ ન કોઈ તીતે પર તત્વને વંદના કરતી જ રહી છે અને તેમાંય સમજુ વ્યક્તિ પોતાના જીવનની ક્ષણિકતાને જાણે છે અને એ સમજી સહજમાં વંદન કરે છે પરંતુ સમયની અનંતતાને સમજનારા મહાવૈજ્ઞાનિકો આભ સામે દ્રષ્ટિ કરી, કોઈ પર તત્વ ઉપર હશે, એમ માની ક્યાંય નહી ઝુક્નારા એ પ્રખર વિદ્વાનો પોતાની હાર સ્વીકાર કરે છે અને અદ્રશ્ય પર તત્વને આર્તનાદથી આજીજી કરે છે.

વિશ્વની વિચિત્રતા નિહાળી સામાન્ય માણસ પણ એટલું નક્કી કરી શકે છે કે મૃત્યુ કદી પૂર્ણ વિરામ ન હોઈ શકે.

આ વિશાળ વિશ્વમાં કોઈના જવાથી કે કોઈના આવવાથી વિશ્વના નકશામાં કે રચનામાં કશો ફેર પડતો નથી. કોઈ અબુજ ધનપતિઓ માનતા હશે કે અમે આ સંસ્થા કે શાસન કરીએ છીએ માટે બરોબર ચાલે છે. હકીકતમાં જોતા એ લોકો ખરેખર મહામુર્ખ છે.

ગૌતમ બુદ્ધ આ પૃથ્વી ઉપર પધાર્યા. ભગવાન તીર્થકર મહાવીર સ્વામી આ પૃથ્વી ઉપર પધાર્યા. અનેક અવતારી પુરુષો અને સિધ્ધો આ ધરા ઉપર પધાર્યા. સમય થતા વિદાય થયા. ભગવાન ઈસુ આ ધરાપર આવ્યા. કોઈએ તેને બળાત્કારે મારી નાખ્યા. બળાત્કારે મારનારા પણ પોતાનું કાંઈ જીવન સમયથી વધારે ટકાવી શક્યા નહી અને પોતાને સારા માનતા એ અજ્ઞાનીઓ કાંઈ સારું કરી શક્યા નહી. પોતાની અત્યાચારી લગામ પોતે લાંબા સમય સુધી ટકાવી શક્ય?

સંતો અને સાધકો કહે છે કે આ ભગવાનના ઘરમાં તમે જેટલા સ્વચ્છતાથી અને સ્વસ્થતાથી રહો છો એટલા સારા, બાકી તમારું આ વિશ્વમાં કોઈ મહત્વ નથી.

અરે! તમે જે કાંઈ સમજ્યા હશો તેનું પણ મહત્વ નથી તો બીજી શું વાત કરવી. તમારા જ્ઞાનની કોઈ મહત્તા નથી. બસ, અન્યના ઉપયોગમાં જેટલા તમો આવ્યા, અન્યને તમો કાંઈક આપી શક્ય અને કોઈ સંતે ચીંધેલા માર્ગ પર પ્રગતિ કરી શક્ય, બસ એટલું તમારું જીવન ધન્ય.

માણસ એટલું પણ જાણી શકતો નથી કે મને આ જન્મમાં માણસ થવા મળ્યું છે એ મારું કયું અને કેવું પુણ્ય હશે? જયારે મારે મોત આવશે ત્યારે મારે ફરી મનુષ્ય થવાનો મોકો હશે કે પછી જે તે સ્થળે કે જડે, વિધ વિધ જીવાણુંમાં જવાનું કે ભટકવાનું થશે?

વિજ્ઞાન આટલે વધ્યું છે છતાં મહાવૈજ્ઞાનિકો આભ સામે મીટ માંડીને કોઈ પર તત્વને આર્તનાદથી પ્કારે છે કે કાંઈક અમને તારું બતાવ?

સંતો જયારે પોતાના અંતરથી, શરણે આવેલા લોકોને કાંઈક કહે છે ત્યારે તેમની રહસ્ય સભર વાતો સાંભળી, સામાન્ય માનવીથી માંડી મહામાનવીને અંતરમાં કાંઈક તૃપ્તિની અનુભુતી થાય છે. અંતરમાં ઈશ્વર કે સ્વામિનારાયણ ભગવાન દેખાતા નથી પણ તેમના તરફથી મળતો કાંઈક આનંદ જરૂર અનુભવાય છે.

વિશ્વની વિચિત્ર વિટામણોમાં ફસાયેલો માણસ જયારે સંત પાસે આવે છે ત્યારે અંતરમાં અનંતની કાંઈક અનુભુતી થાય છે અને જીવનમાં રાહત મળે છે. જીવનની મુશ્કેલીઓ અને ઉપાધીઓ સરવાળે હટી જાય છે.

જો વ્યક્તિ સંતને આદરથી સાંભળે છે તો અંતરમાંથી સંસારનો સંતાપ તો ટળી જાય છે સાથો સાથ ધમાલિયા જીવનમાં પર તત્વને અનુભવવાનો કાંઈક સંકેત પણ મળી જાય છે.

જે સ્વામિનારાયણ ભગવાનના શરણમાં આપણે બધા જવા પ્રયત્ન કરીએ છીએ, કે જેને શરણે દ્રઢ થઈને રહ્યા છીએ, એ ભગવાનને તો આપણે કોઈ ઓળખતા જ નથી. આ વાક્ય કદાચ પચાવું અઘરું લાગશે પણ જો વિચાર કરીશું તો ખબર પડશે કે કહેવામાં શરળ છે પણ જહ્રમાં કબુલાત કરવામાં અતિ અઘરું છે.

જે સંતના શબ્દો સાંભળતા અંતરમાં શીતળતા વ્યાપે છે અને પ્રભુને સમજવાની કાંઈક અનુભુતી થાય છે. પ્રભુના વિશ્વને સમજવાની અને જોવાની કાંઈક દ્રષ્ટિ સાંપડે છે. અરે! અનંત આકાશ સામે કોઈ દિવસ મીટ તો માંડજો. અસંખ્ય નક્ષત્રો આડેધડ ગતી કરે છે છતાં કદી કોઈ જાતનો અકસ્માત નહી. વિશ્વમાં વિવિધ જાતિઓ પ્રજાતિઓમાં જીવન, છતાં દરેકની સુવ્યવસ્થિત વ્યવસ્થા ! અરે! કદી ગધેડીને પેટે વાંદરાનો જન્મ નહી. નારીના ઉદરમાં કદી પશુનું પોષણ નહી.

કેદમાં વિશ્વના નાયકનો પ્રાદુર્ભાવ! વાણિયાના પરિવારમાં યુગપુરુષનું અવતરણ! ગરીબ, તિરસ્કૃત અને બદસુરત પરિવારમાં સુંદર અને પરમવૈજ્ઞાનિકનો પ્રાદુર્ભાવ! સુંદર રાજાના પરિવારમાં અપંગ અને કઢંગા પુત્રનો જન્મ! મિસ યુનિવર્સના પેટે ખોડવાળું અને મુર્ખ સંતાન જન્મે!

વધારે કેટલું મંથન કરશો? તમારા અને મારા મગજમાં જે કાંઈ ભર્યું છે એનો હજુ કોઈ ૨૦% ઉપયોગ કરી શકતું નથી. શરીરના એક એક ભાગનું ઝીણવટ ભર્યું અધ્યયન કરતા અને તેનો વ્યવસ્થિત ઉપચાર કરતા સર્જનો કે સંશોધકો, વૈધો કે ડૉકટરો, મગજમાં એક કોઈક સામાન્ય કોષને કાંઈક માઠી અસર થઈ હોય અને ફીટ કે વાઈ આવતી હોય તો તેના ઉપચારમાં વર્ષો ગાળ્યા પછી કાંઈ પરિણામ નહી.

તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે આજે વિશ્વમાં ૨૦૦ વ્યક્તિએ એક વ્યક્તિ ફીટ કે વાઈની ઝપટમાં છે. કેવા રોગો સમયે સમયે દેખાવો દે છે કે જેને સમજવા વર્ષો લાગી જાય છે અને તેને કાઢતા સૈકાઓ!

આવા વિચિત્ર વિશ્વમાં વિશ્વેશ્વરની વિચિત્રતામાં વિવિધતા જોઈ કોને એ સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતોના હદયના ઉદગારો સાંભળવાનું મન ન થાય? જેના ઉદગારોમાં સામાન્ય માનવીને જીવન જીવવાનો સંકેત અને અંતરમાં સંતોષ મળી જતો હોય તો કોણ એવા સંતોને સાંભળવા તત્પર ન થાય?

સંસારમાં કોઈ શ્રીમંત હોય કર બેચેન, ગરીબ હોય કે તવંગર ઉચ્ચ વર્ગનો હોય કે નીચ વર્ગનો, કઠોર દિલનો હોય કે કોમળ, શ્રમજીવી હોય કે બેકાર સૌ કોઈને સંતોના ઉદગારો સાંભળવામાં સંતોષ અને સુખ મળશે અને આવા વિચિત્ર વિશ્વમાં વિશ્વેશ્વરની વિચિત્રતામાં ભગવાનને પામવાનો અને અટકતી નાવને ચલાવાનો રસ્તો કે સંકેત મળશે. આ હશે કથાશ્રવણનું રહસ્ય.

સંતોના ઉદગારો સાંભળવામાં કેટલું સાંપડે છે એતો પ્રાપ્ત કરનારને પૂછો તો ખ્યાલ આવે કે જે કુરેશ સ્વામીએ, બન્ને નેત્રોમાં છરા ભોકવામાં આવ્યા અને ઉહકારોએ ન કર્યો અને એ કેવલ શેષાવતાર જગતગુરુ શ્રી રામાનુજાચાર્ય ભગવાનની પ્રસન્નતા માટે, એમની સ્થિતિ કેવી હશે?

આપણે કેવલ પ્રકૃતિને સમજવા પ્રયત્ન કરીએ. જો ભગવાને ઉંદર, સર્પ અને દેડકાં ન સર્જ્યા હોત તો જંતુઓને મારવા માટે કોઈ પણ પ્રકારની દવા કારગર થાય નહી. જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે સમજી શકતા નથી અને જેને આપણે વ્યક્ત કરી શકતા નથી એવા ભગવાન સ્વામિનારાયણ જયારે પોતે મૂર્તિરૂપે બની સ્વયં પોતે વ્યક્ત થાય અને સંતોના ઉદગારો રૂપે પોતે રહસ્ય ઉઘાડું પાડે ત્યારે એને કોણ સાંભળવા ન તલપ રાખે?

બસ, આપણે એવો પ્રયત્ન કરીએ કે એ પરમાત્માને પામવા અને નાવને કાંઠે લઈ જવા સંતોના ઉદગારોને સાંભળીએ એને તેને પચાવીએ અને એમની સહાયતાથી કે માર્ગદર્શનથી ભગવાનના કાર્યને સાંચવીએ અને સુશોભિત કરીએ. આવું રહસ્ય કદાચ સંતમુખે કથાશ્રવણ વિના નહી મળે.