ઇચ્છા પર મૃત્યુ

0
452
ઇચ્છા પર મૃત્યુ

એક સત્ય સનાતન તત્વને યથાર્થપણે ઓળખનાર વ્યક્તિ પ્રકૃતિનો સામનો કરી શકે છે અને હસતે ચહેરે વિરોધી મતાવલંબીઓનો સામનો કરી તેમની સામે પોતાની ઈચ્છા પ્રગટ કરી તેમની પાસે તે પ્રમાણે કાર્ય કરાવી શકે છે.

મહાભારતમાં ભીષ્મપિતા યુધિષ્ઠિરને સંબોધીને કહે છે કે જે વ્યક્તિ દીન, દુઃખી, પરાધીન, કંગાલ, અનાથ અને સર્વ રીતે ગરીબ હોય તેને કલ્પાવે છે, તેને રીબાવે છે. તે  માણસ  સ્વપ્ને પણ જાણતો નથી કે મારું ક્યારે કમોત થશે?

મહાભારતમાં ભીષ્મપિતા યુધિષ્ઠિરને સંબોધીને કહે છે કે જે વ્યક્તિ દીન, દુઃખી, પરાધીન, કંગાલ, અનાથ અને સર્વ રીતે ગરીબ હોય તેને કલ્પાવે છે, તેને રીબાવે છે. તે  માણસ  સ્વપ્ને પણ જાણતો નથી કે મારું ક્યારે કમોત થશે?  અરે! કદાચ બીજાને હેરાન કરનાર વ્યક્તિનું  પરબ્રહ્મ પરમાત્મા સારુ કરવા ઈચ્છે તો તે ભગવાન પણ તેનું સારુ કરી શકતા નથી.જે બીજાનું સારુ ન કરી શકે તેનું કોઈ સારુ ન કરી શકે. કદાચ કોઈ તેનું સારુ કરવા જાય તો પોતાનું બગાડીને આવે પણ તેનું સારુ તો કરી જ ન શકે. તેનું ખરાબ જરૂર થાય.

મૃત્યુને કોઈ દેહધારી ટાળી શકતો નથી.  તેને કોઈ પાછું પણ ધકેલી શકતો નથી. તેનો કોઈ જરા વાર પણ સામનો કરી શકતો નથી. તેમ છતાં જેણે જીવનમાં કોઈ અપંગને  કે અનાથને કલ્પાવ્યો નથી અને સંસારમાં રહી, ભગવાને અને સાચા સાધકે ચિંધેલા માર્ગ પર ચાલી, શક્ય તેટલી  જીવ પ્રાણીમાત્રની સેવા કરી છે તેની પાસે જતાં, મૃત્યુ જરાક ખચકાય છે.

પર ઉપકાર કરવાની જેને અંતરમાં લાગણી  પ્રફુલ્લિત થઈ હોય અને દરેક જીવ પ્રાણી માત્રમાં જેને પોતાના ભગવાનનાં દર્શન થતાં હોય એવી વ્યક્તિને મૃત્યુનો ભય કયારેય રહેતો નથી.

ભગવાન સ્વામિનારાયણે યોગીરાટ્‌ મુક્તાનંદ સ્વામીને એમ કહ્યું છે કે જેને ભગવાન અને ભગવાનના સર્વે ભક્તોનું ગૌરવ હોય અને તેમને માટે કાંઈક કરી છુટવાની જેને અંતરમાં ભાવના હોય એવા દેહધારીને, મૃત્યુ પોતાની ઈચ્છા પ્રમાણે વશ રહે છે.

ભીષ્મપિતા કાળના વેગે મૃત્યુ પામ્યા નથી પણ પોતે પોતાની ઈચ્છાએ કરીને મૃત્યુને બોલાવી, પોતાના સંકલ્પથી અખંડશયન ગ્રહણ કરેલું છે.

       આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ કોઈ એક ગોડસે નામના માણસના હાથે પરાધીન થઈને મૃત્યુ નથી પામ્યા. પરાધીન મૃત્યુ એ કહેવાય છે કે જ્યાં પોતાને પોતાની સ્મૃતિ રહે નહીં અને ભગવાનનું સ્મરણ પણ રહે નહીં.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ કોઈ એક ગોડસે નામના માણસના હાથે પરાધીન થઈને મૃત્યુ નથી પામ્યા. પરાધીન મૃત્યુ એ કહેવાય છે કે જ્યાં પોતાને પોતાની સ્મૃતિ રહે નહીં અને ભગવાનનું સ્મરણ પણ રહે નહીં.

ભગવાન શ્રી રામ અને વાલીના સંવાદમાં જોઈએ તો એજ જોવા મળે છે કે જેને અંત સમયે રામ આવે તેનું મૃત્યુ ધન્ય છે. અર્થાત્ તે વ્યક્તિ કાળને વશ નથી. પૂજ્ય બાપુને તો ગોળી લાગેલી છતાં છેલ્લા શ્વાસે ભગવાનનું ‘‘શ્રીરામ’’ નામ સતત જપાતું રહ્યું હતું. એટલે તો એમ કહી શકીએ કે બાપુએ મૃત્યુને આવવાની મંજુરી આપી હતી. મૃત્યુને તેમણે આમંત્રણ આપ્યું હતું. પણ કર્મને વશ થઈ કે કાળને વશ થઈ પરાધીન અવસ્થામાં મૃત્યુ પામ્યા ન હતા. ભગવદ્‌ સેવાથી અને રાષ્ટ્રની નિઃસ્વાર્થ સેવાથી  મૃત્યુ પોતાને આધીન થાય છે અને પોતાની ઈચ્છાએ મૃત્યુને આવકારી શકાય છે.

જેણે બીજા કોઈ પણ ને નિજ સ્વાર્થે  પીડા ન આપી હોય અને પોતાની શક્તિ કરતાં પરાધીનની વધારે સેવા કરી હોય એવી વ્યક્તિ એ જીવનમુક્ત કહેવાય છે, અને એ વ્યક્તિને  મૃત્યુ વશ હોય છે. એવી વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે મૃત્યુને બોલાવે છે પણ મૃત્યુ એમને બોલાવી શકતું નથી.